કુહાડીનો ઘા તો ગમે ત્યારે રૂજાઈ જાય છે પણ કડવાં વેણથી પડેલો ઘા નથી રૂજાતો

0
350

લાભુ નામનો એક કઠિયારો હતો . રોજ  જંગલમાં જતો . બપોર સુધી લાકડાં કાપતો અને તેનો ભારો બાંધી પોતાના ગામમાં પાછો ફરતો . એ લાકડાં ગામના બજારમાં વેચી એમાંથી જે કાંઈ મળે તેનાથી રસોઈનો સામાન લઈ પોતાને ઘેર જતો . આમ તેની જિંદગી માંડમાંડ ગરીબીમાં પસાર થતી હતી . એક દિવસની વાત છે . રોજની માફક તે જંગલમાં ગયો . એક ઝાડ આગળ દોરડું અને અંગૂઠો લટકાવી કુહાડીથી ડાળ કાપવા જતો હતો ત્યાં જ તેને કોઈ પ્રાણીના કણસવાનો અવાજ સંભળાયો . તેણે અવાજની દિશામાં નજર નાખી . કોઈ પ્રાણી દર્દથી કણસી રહ્યું હતું . લાભુ એ તરફ જવા લાગ્યો .

તળાવથી થોડે દૂર તેણે જોયું કે એક સિંહ દર્દથી કણસી રહ્યો હતો . બાપ રે … આ તો સિંહ … જંગલનો રાજા … . એની પાસે ના જવાય . ત્યાં જ સિંહની નજર તેના પર પડી . સિંહની આંખોમાં લાચારી હતી . લાભુ હિંમત કરી તેની નજીક ગયો . તેણે જોયું કે સિંહનો આંગલો પણ લોહીલુહાણ હતો ત્યાં તીર વાગેલું હતું . સિંહે કહ્યું – ‘ ભાઈ , મારી મદદ કરો . મને પગમાં તીર વાગ્યું છે , તે જલ્દી કાઢો * * લાભુને દયા આવી છતાં ગભરાતા ગભરાતા તે નજીક ગયો . સિંહના પગમાંથી તીર કાઢયું . તળાવ થોડે દૂર હતું તે ત્યાં ગયો . પોતાનો અંગૂછો ભીનો કર્યો . પછી સિંહ પાસે આવી ભીના અંગૂઠાથી ઘા સાફ કર્યો . જંગલમાં જંગલી ઔષધીના ઘણા છોડ હોય છે . ઔષધીના એક છોડ પરથી પાંદડાં લાવી ,

બે હથેળીમાં મસળી સિંહના ઘા ઉપર લૂગદીબનાવી લગાવી . સિંહે જણાવ્યું કે તે પાણી પીવા તળાવ આવ્યો ત્યારે કોઈ શિકારીએ તેને તીર મારી તેનો શિકાર કરવા પ્રયત્ન કર્યો હતો . તીર વાગ્યું છતાં છલાંગ લગાવી માંડ માંડ ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો . ભલે સિંહ હિંસક પ્રાણી હતો પણ લાભુને તેની દયા આવી . દિવસ દરમ્યાન લાકડા કાપતા કાપતા થોડી થોડી વારે તેની તપાસ કરી તો સાંજ પડવા આવી ત્યારે લાભુએ ફરી તેના ઘા ઉપર ઔષધી લગાવી આપી . બીજા દિવસે લાભુ રોજ કરતાં વહેલો જંગલમાં ગયો . જોયું તો સિંહ ત્યાંથી ચાલીને તળાવની પાળે પાણી પી રહ્યો હતો . સિંહે કહ્યું રાત્રે તેને સરસ ઊંઘ આવી . ચાર – પાંચ દિવસમાં સિંહને સારું થઈ ગયું .

છતાં લાભુ ઘા તપાસી ઔષધી લગાવતો રહ્યો . હવે સિંહ બરાબર ચાલી શકતો હતો . એક સાંજે લાભુ લાકડાનો ભારો લઈ ઘેર પાછો ફરતો હતો ત્યારે સિંહે કહ્યું – “ તેં મારી ઘણી સેવા કરી છે . લાવ , આ લાકડા પીઠ ઉપર મૂકી દે . હું તને તારા ગામના પાદર સુધી છોડવા આવું છું . આમેય લાભુ થાકેલો તો હતો જ ! તેણે ભારો સિંહની પીઠ ઉપર મૂકી દીધો . પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો . લાભુ લાકડાનો ભારો તૈયાર કરતો અને સિંહ ગમે ત્યાંથી સમયસર આવી જતો . તેને રોજ ગામના પાદરે મૂકી જતો . જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ લાભુનો લોભ પણ વધવા લાગ્યો . એક ભારામાંથી બે થયા . બેના ચાર થયા , તેની પાસે પૈસા પણ વધારે ભેગા થવા લાગ્યો . ગામમાં પણ વાતો વહેતી થઈ . ગ્રામજનો લાભુને સિંહની સાથે જોવા ઠેઠ પાદર સુધી ભેગા થવા લાગ્યા . ગામમાં લાભુ અને તેની પત્નીનું માન વધવા લાગ્યું . સૌ તેની પાસે સિંહની વાતો સાંભળવા એકઠા થવા લાગ્યા . સિંહ જેવો જંગલનો રાજા … પણ લાભુ પાસે બકરી … … બનીને તેની દરેક વાત માને .

જેમ જેમ માન વધતું ગયું , લાભુનો અહંકાર પણ વધતો ગયો . ઘણીવાર તો પાતળી સોટીથી સિંહને ફટકારતો ! જલ્દી જલ્દી ચાલ … આમ ગધેડાની માફક શું ધીમે ધીમે ચાલે સિંહ એક માણસના ઉપકારને વશ હતો . તેનાથી લાભુનો ઉપકાર ભૂલાતો નો’તો . તેથી નાછૂટકે ગમે તેવું અપમાન સહન કરી રહ્યો હતો . મહિનો … બે મહિના … ત્રણ મહિના … માનવસહજ મોટાઈ પામવાનો સ્વભાવ લાભુમાં દિવસે દિવસે વધતો ગયો . તે એ પણ ભૂલી ગયો કે તે જેનું વાતે – વાતે અપમાન કરે છે , લાકડી ફટકારે છે , વધારેને વધારે ભાર લાદે છે એ કોઈ ગધેડો નથી – સિંહ છે . એક દિવસ સિંહે કહ્યું – ‘ ‘ લાભુ , તારા હાથમાં આ કુહાડી છે ને ! એક કામ કર … મારી પીઠ ઉપર કુહાડીનો ઘા કર !!! ’ લાભુ તો દંગ રહી ગયો . સિંહ … આ શું બોલે છે ? છતાં સિંહે કહ્યું . “ તું ચિંતા ના કર , હું કહું છું ને , તારી કુહાડીથી એક કર . ‘ ‘ લાભુએ ઘા કર્યો . લોહી નીકળ્યું . પણ સિંહે સ્ટેજ પણ ઊંહકારો ના કર્યો . ત્રણ – ચાર દિવસ પછી સિંહે લાભુને પૂછ્યું – “ જરા જો તો ખરો ! પેલો ઘા તે પાડ્યો હતો ત્યાં રૂજ આવી કે નહિ ? ’ ’ લાભુએ જોયું ઘા રૂજવા આવ્યો હતો . ત્યારે સિંહે કહ્યું – જોયું ! લાભુ … તારી કુહાડીથી પડેલો ઘા પણ રૂજાઈ ગયો . તે દિવસે તીરના ઘા ઉપર ઔષધી લગાવી તેનો ઉપકાર હું ભૂલ્યો નો’તો . તેના બદલામાં અત્યાર સુધી મેં તારી ઘણી સેવા કરી . હું રાહ જોતો હતો કે મોટાઈ પામવાનો તારો માનવ સ્વભાવ સુધરે છે કે નહિ ? પણ એ ના બન્યું . કુહાડીનો ઘા તો સહન થઈ જાય પણ તારા કડવાં વેણ , ગામ લોકોની વચ્ચે લાકડીના ફટકારે થતું મારું અપમાન , સિંહ જેવા સિંહને ગધેડાની માફક હાંકવાનો તારો ઘમંડ .. , લાભુ … તમે કઈ જાતના માણસ છો ? કોઈની સેવાય મનથી નથી કરી શકતા ! એમાંય બદલાની ભાવના રાખો છો ? હવે કાલથી હું તને નહિ મળે . મારી આશા ના રાખીશ . જતાં જતાં એક વાત કહું તે યાદ રાખજે . કુહાડીનો ઘા તો ગમે ત્યારે રૂજાઈ જાય છે પણ કડવાં વેણથી પડેલો ઘા નથી રૂજતો . ‘ ‘ – અને સિંહ ચુપચાપ જંગલમાં જતો રહ્યો . – સુરેન્દ્ર શાહ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here