ધનતેરસ ની પૌરાણિક કથા અને ધનતેરસે કઇ વસ્તુઓનુ ખરીદી કરવી શુભ ગણવામાં આવે છે

0
299

જાણો ધનતેરસ ની પૌરાણિક કથા વિશે તથા ધનતેરસ પર ખરીદી કરવી આ કારણે શુભ ગણવામાં આવે છે

ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી, કળીયુગમાં તો ધન ભેગું કરવા માટે આંધળી દોટ મૂકાય છે. આડા અવળા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે વિનાશ નોતરે છે. લક્ષ્મીપૂજન કરવાનું પ્રયોજન એ છે કે આપણા ધનનો સદઉ૫યોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.. જો દાન, પુણ્ય કરી ૫રો૫કારના કાર્યમાં લક્ષ્મીનો સદઉપયોગ કરીશું તો આપણા ઘરે લક્ષ્મી દોટ મૂકીને આવે તેમાં કોઇ શંકા નથી.

ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ છે. દેવો અને દાનવો જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે ચૌદ મૂલ્યવાન ચીજો મળી હતી. તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત. આસો વદ તેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરી અમૃતકળશ હાથમાં લઈને પ્રગટયા હતા તેથી જ તે દિવસને ધનતેરસ તરીકે ઓળખાવા લાગ્યો.

લક્ષ્‍મી માતા વિશે ૫ણ એક કથા છે કે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શ્રાપ હતો કે તેમણે તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું જેથી આ વર્ષો દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય. જ્યારે લક્ષ્મીજીના શ્રાપનો સમય પૂર્ણ થયો ત્યારે ભગવાન વિષ્ણુ તેમને લેવા આવ્યા, પરંતુ ખેડૂતે તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે તો હું તમારા ઘરમાં નિવાસ કરીશ. તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે.

ધનતેરસ એટલે લક્ષ્‍મીપૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિએ લક્ષ્‍મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી. લક્ષ્‍મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે. ખિસ્તી ધર્મનું વિધાન છે કે સોયના કાણામાંથી ઉંટ ૫સાર થાય ૫ણ શ્રીમંતને સ્વર્ગ ન મળે.. આ વાક્ય સાથે ભારતીય વિચારધારા સહમત નથી, ભારતીય દ્દષ્‍ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દિકરા છે, ગયા જન્મના યોગભ્રષ્‍ટ જીવાત્માઓ છે.

લક્ષ્‍મી ચંચળ નથી ૫ણ લક્ષ્‍મીવાન મનુષ્‍યની મનોવૃત્તિ ચંચળ થાય છે. વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે. લક્ષ્‍મીને ભોગપ્રાપ્‍તિનું સાધન સમજનારનું ૫તન થાય છે. વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્‍મી.. સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત.. ૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્‍મી… અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્‍મી !

એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીન પૂછ્ય કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે ? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા – નહી મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવું ?

યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા તમે સંકોચ ન કરતાં. જો તમારું દિલ કદી કંપી જતુ હોય તો નિડર થઈને કહો. ત્યારે યમદૂતોએ બીતાં બીતા કહ્યુ કે એકવાર આવી ઘટના ઘટી હતી. જ્યારે અમારું હૃદય કંપી ઉઠ્યુ હતુ.

એવી શુ ઘટના ઘટી હતી? ત્યારે યમદૂતોએ જણાવ્યુ – મહારાજ, હંસ નામનો રાજા હતો, જે એક દિવસ શિકાર કરવા ગયો, ત્યારે પોતાન સાથીયોથી અલગ પડી ગયો. અને બીજા રાજયની સીમામાં જતો રહ્યો. ત્યાના રાજા હેમાએ તેનું સ્વાગત કર્યુ.

તે દિવસે રાજા હેમાની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. જ્યોતિષિયોનું કહેવુ હતુ કે આ બાળક તેના લગ્નના ચાર દિવસ પછી મૃત્યુ પામશે. રાજા હંસના આદેશથી તે બાળકને યમુના કિનારે એક ઝૂંપડીમાં મુકવામાં આવ્યો. તેના પર સ્ત્રીયોની છાયા પણ પડવા દેવામાં આવતી નહોતી.

પરંતુ વિધિનું વિધાન અડગ હોય છે. સમય વીતતો ગયો. સંજોગથી એક દિવસ રાજા હંસની યુવાન દીકરી યમુના કિનારે આવી પડી અને તેને તે બ્રહ્મચારી બાળક જોડે ગંધર્વ વિવાહ કર્યા, અને વિવાહના ચોથા દિવસે તે રાજકુમાર મૃત્યુ પામ્યો. તે નવવિવાહિતાનો વિલાપ જોઈને અમારું હૃદય કાંપી ઉઠ્યુ. આવી સુંદર જોડી અમે કદી જોઈ નહોતી. તે કામદેવ અને રતિ કરતાં પણ આકર્ષક હતા.

યમરાજ દ્રવિત થઈને બોલ્યા – શુ કરીએ ? વિધિના વિધાનની મર્યાદા માટે અમારે આવું અપ્રિય કામ પણ કરવું પડે છે. એક યમદૂતે પૂછ્યુ કે મહારાજ આવા અકાળ મૃત્યુનો કોઈ ઉપાય ખરો ?

યમરાજે અકાળ મૃત્યુનો ઉપાય બતાવતાં કહ્યુ કે – ધનતેરસના દિવસે પૂજન અને દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે. જે ઘરમાં આ પૂજન થાય છે, ત્યાં અકાળ મૃત્યુનો ભય પાસે પણ નથી ફરકતો.

આ ઘટના પછી ધનતેરસના દિવસે ધનવંતરિ પૂજન સાથે દીપદાનની પ્રથા શરૂ થઈ.

ધનતેરસનું ધાર્મિક મહત્વ :-

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈ બીજ સુધી રહે છે. ધનતેરસનું પર્વ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસે ઉજવાય છે. આ વખતે આ તિથિ 5 નવેમ્બર સોમવારે છે. આ દિવસ ઉજવવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે. માનવામાં આવે છે કે આ દિવસે આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેર સાથે ભગવાન ધન્વતંરીની પૂજા કરવામાં આવે છે.

ભગવાન ધન્વતંરીનો જન્મદિવસ ધનતેરસ :-

પુરાણો અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન સોનાનો કળશ લઈને ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હતા. આ સોનાના કળશમાં અમૃત હતું, જેનું પાન કરવાથી દેવતાઓ અમર થઈ ગયા. માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી બાદ દેવી લક્ષ્મી મંથનમાંથી ઉત્પન્ન થયા. જેના કારણે બે દિવસ દિવાળી ઉજવાય છે.

આ કારણે લીધો હતો ધન્વંતરીએ અવતાર :-

માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી વિષ્ણુના અંશાવતાર છે, જેમણે સૃષ્ટિમાં આયુર્વેદ અને ચિકિત્સા માટે અવતાર લીધો હતો. ભગવાન ધન્વંતરીના દેવતાઓને વૈધ પણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ધર-પરિવારના બધા લોકો સ્વસ્થ રહે છે. ધન્વંતરી સુવર્ણ કળશમાં અમૃત લઈને પ્રગટ થયા હતા આથી ધનતેરસ પર વાસણ અને ધાતુની વસ્તુઓ ખરીદવું શુભ માનવામાં આવે છે.

જ્યારે ભગવાને ધારણ કર્યો વામન અવતાર :-

શ્રીમદ ભાગવત કથા અનુસાર, સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી લીધો. દેવતાઓની સમસ્યા સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. ભગવાન વામન રાજા બલિ પાસે દાન માંગે છે.

રાજા બલિ પાસે માગ્યું દાન :-

જ્યારે વામન ભગવાન દાન માગવા આવ્યા તો ગુરુ શુક્રાચાર્યએ તેમને ઓળખી લીધા અને રાજા બલિને દાન આપતા રોક્યા. રાજા બલિ પોતાના ગુરુની વાત માનવાના બદલે દાન આપવાનું વચન આપી દીધું. ત્યારે ભગવાન વામને રાજા બલિ પાસે ત્રણ ડગલા ધરતી માગી.

દેવતાઓને પાછું અપાવ્યું સ્વર્ગનું સિંહાસન :-

ભગવાન વામને વિશાળ સ્વરૂપમાં એક પગથી પૃથ્વી, બીજો પગ અંતરિક્ષમાં મૂક્યો. પરંતુ ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન ન બાકી રહ્યું તો બલિએ ભગવાન વામનને પોતાના માથા પર પગ મૂકવા માટે કહ્યું. જેના કારણે તે સીધો પાતાળ લોક પહોંચી ગયો અને દેવતાઓને રાજ-પાઠ મળી ગયા.

આ કારણે કહેવાય છે ધનતેરસ :-

રાજા બલિએ દેવતાઓ પાસેથી જે કંઈપણ છીનવ્યું હતું તેનું 13 ગણુ વધારે તેમને મળી ગયું. જે દિવસે તેમને રાજ પાઠ મળ્યો હતો, તે દિવસે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની તેરસ હતી. દેવતાઓને 13 ગણુ વધારે મળવાના કારણે આ તિથિને ધનતેરસ કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here