આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની એટલેકે ચૈત્રી નવરાત્રી ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
|| या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः |
श्रद्धा सतां कुलजनः प्रभवस्य लज्जा तान्त्वान्नाताः स्म परिपालय देवी विश्वम ||
![](https://gujaratistory.in/wp-content/uploads/2019/04/01-6.jpg)
શ્લોકનો અર્થઃ પુણ્ય આત્માનાં ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીનાં ઘરે દરિદ્ર રૂપે, શુદ્ધ અંતઃકરણ વાળી વ્યક્તિનાં ઘરે કે સાચા દિલના લોકોનાં ઘરે સદ્બુદ્ધિ રૂપે, સતપુરુષોને ત્યાં શ્રદ્ધા રૂપે, કુલિન વ્યક્તિઓને ત્યાં લજજા રૂપે નિવાસ કરે છે તેવા માં દુર્ગાને નમસ્કાર એ છીએ. હે દેવી આપ સંપૂર્ણ વિશ્વનું પાલન – પોષણ કરનાર છો.
આપણાં ત્યાં કહેવત છે કે
જે કરે ચૈત્રી તે જાય તરી
અને જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી
![](https://gujaratistory.in/wp-content/uploads/2019/04/images.jpg)
ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરતા હોય છે. પ્રાચીન સમયમાં પણ ઋષિ મુનીઓ નવરાત્રીમાં શક્તિ ઉપાસના કરતા અને નવરાત્રીમાં વ્રત, જપ, તપ અને ઉપવાસ કરતા. આજે પણ નવરાત્રીમાં ઘણી જગ્યાએ નવરાત્રીના નવ દિવસ દરમિયાન યજ્ઞો થાય છે.
ચૈત્રી નવરાત્રી સાધના અને ઉપાસના માટેની નવરાત્રી છે. આ નવરાત્રીમાં ગરબા ગાવાના નથી હોતા પરંતુ માં અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે. ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ દરમિયાન જો પદ્ધતી અનુસાર શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.
ચૈત્રી નવરાત્રી સાથે એક પૌરાણીક કથા જોડાયેલી છે. આ પૌરાણિક કથા અનુસાર દુષીબેગો નામના એક રાજાને સિંહે ફાડી ખાધા હતા. તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગાદી પર બેસાડવાના હતા. જો કે કોસાલાની આ ગાદી પર ઉજ્જૈન અને અલીંગાના રાજાની પણ નજર હતી. સુદર્શનને ગાદી મળે તેના વિરોધમાં અંદર-અંદર લડાઈ થઈ. લડાઈના કારણે સુદર્શન જંગલમાં ભાગી જાય છે. ત્યાં જંગલમાં એક ઋષિના ત્યાં તે ‘ક્લીમ’ મંત્ર શીખ્યો. આ મંત્રથી એક રાજાએ તેની કન્યા પરણાવી અને પછી આ સસરા જમાઈએ ભેગા મળીને કોસાલાની પોતાની ગાદી પાછી મેળવી હતી.
![](https://gujaratistory.in/wp-content/uploads/2019/04/maxresdefault-1024x576.jpg)
સુદર્શનને પિતાનુ રાજ્ય અને રાજગાદી મળ્યા બાદ તેઓ માં અંબાની ભક્તિમાં લીન રહેવા લાગ્યા. રાજાને ચૈત્રી નવરાત્રી કરતા જોઈને પ્રજાને પણ માં અંબામાં શ્રદ્ધા જાગી. રાજા સુદર્શને જણાવ્યું કે મને જંગલમાં જીવતો રાખનાર, રાજ-પાટ પાછા અપાવનાર અને સમૃદ્ધિભર્યું જીવન આપનાર માં દુર્ગા છે. આ બધી જ માં દુર્ગાની કૃપા છે. અને ત્યારથી જ ચૈત્રી નવરાત્રીમાં માં અંબાના ઉપવાસની પરંપરા શરૂ થઈ હતી. આજે ચૈત્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીની ઉપાસના-પૂજા-અર્ચના કરે છે.
કહેવાય છે કે સુદર્શને માં અંબાજીની આરાધના કરી એટલે માતાજીએ સુદર્શનને દર્શન આપ્યા હતા અને ચમત્કારીક શસ્ત્ર આપ્યું હતું. આ શસ્ત્ર દ્વારા સુદર્શન નામના આ રાજાએ યુદ્ધ કર્યું હતું અને રાજપાટ પાછા મેળવ્યા હતા. આ રાજપાટ એવા લોકોના હાથમાં હતા જે લોકો ખુબ જ શક્તિશાળી હતા એટલે તેને પાછા મેળવવા સરળ નહોતા. પરંતુ સાક્ષાત માં જગદંબા જેની સાથે હોય તેને કોઈપણ પ્રકારની મોટી તાકાતો હરાવી શકતી નથી. સુદર્શન રાજાએ પ્રજા સમક્ષ માં અંબાજીએ આપેલા શસ્ત્રને ઉંચુ કરીને બતાવ્યું અને કહ્યું કે માતાજીએ આપેલા આ જ શસ્ત્રએ મને મારા બાપ-દાદાની ગાદી પાછી અપાવી છે.