પુરુષોત્તમ માસની કથા અધ્યાય 29 | purushottam maas katha adhyay 29 | purushottam mas mahima | સંધ્યાકાળના નિયમો | નણંદ -ભાભીની કથા

0
482

વદ ૧૪ , આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૯ મો સંધ્યાકાળના નિયમો

સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હે શૌનકાદિક મુનિઓ ! કદરી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો , તેનું કારણ તેનાથી પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો તે છે . હવે ભગવાન નારાયણને નારદજીએ પ્રશ્ન પૂછ્યો : ‘ આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું , પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરશો . ’ નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું તે હું તમને કહી સંભળાવું છું : સવારે ધ્યાન – પૂજા કર્યા પછી મધ્યાહ્ને પંચમહાયજ્ઞો કરવા . અન્ન બલિદાન મૂકવું . મહેમાનને જમાડવા .

કાગડા , કૂતરા અને ગાયોને અન્નદાન કરવું . ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી , પૂર્વ દિશાઓ મોં રાખીને ભોજન કરવું . ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી , મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું . યોગીએ આઠ કોળિયા , વાનપ્રસ્થે સોળ કોળિયા , ગૃહસ્થાશ્રમીએ બત્રીસ કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું . વાસી અને નિષેધ ખોરાક ખાવો નહિ . જમ્યા પછી કોગળા અગસ્ત્ય મુનિને કરવા , જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી . યાદ કરવા . શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવું . સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું . ઘેર આવી ફરી હાથ – પગ ધોઈ સાયં – સંધ્યા કરવી . જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે.

સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો. દિશાઓના દેવતાઓને નમરકાર કરવા. સંધ્યા-કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મો રાખવું. સસરાને ત્યાં દક્ષિણ તરફ મો રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મો રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મો રાખીને કે ગાદલાં, ઓશીકા વિના કદી પણ સૂઈ જવું નહિ. સૂતી વેળા વિષ્ણુ ભગવાન અને પંચઋષિઓનું ધ્યાન ધરવું.

પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના બે પ્રહર જ સૂવું. માંસ અને દારૂનો ત્યાગ કરવો. પરસ્ત્રી સાથે સમાગમ ને કરવો. બીજા ધર્મની નિંદા ન કરવી. આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવી વૈકુંઠલોકને પામે છે,”

‘શ્રી બૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘સંધ્યાકાળના નિયમો’ નામનો ઓગણત્રીસમો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ.

નિર્મળ નણંદ – અભિમાની ભાભીની કથા

એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે, તેમને સંતાનમાં સાત દીકરા હતા. હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા-વાર્તા કરી આખા કુટુંબનું માંડ માં પૂરું કરતો હતો. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું. આવી ગરીબ હાલત છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણપણે ભરેલા હતા.

બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો હતો. તે પૈસેટકે સુખી હતો. ખાનદાની હતો, પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાભી કરે તે થાય, ભાઈ ભાભી કહે તેમ વર્તે. ભાભી ભાઈને કહે : “તમે તમારે વેપાર કરે રાખો. ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવું નહિ, હું બધું સંભાળી લઈશ.’’ આ ભાઈ-ભાભીને સંપત્તિ ઘણી, પણ એકે સંતાન નહિ. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે : જ્યાં ખાવા ના હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય, જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ન હોય.

એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઊઠીને નદીએ સ્નાન કરવા જાય. કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા-વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન દે અને ઘેર આવે. પુરુષોત્તમ ભગવાનનું નામસ્મરણ કરી ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઊઠે. નાહવા માટે નદીએ જાય. ખોળિયું માંડ માંડ પલાળે અને ભાગંભાગ કરતી ઘેર દોડી આવે. તે તો સંતાન-પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસ કરતી હતી. તેને તેમાં બહુ રસ નહોતો.

પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ તેનું ઉજવણું કરવા વિચાર્યું. પતિ પાસે સંમતિ લઈ તેણે દોમદમાન સાથે ઉજવણીની તૈયારીઓ કરવા માંડી. તેણે ઘણાં સગાંવહાલાંને જમવા માટે આમંત્રણ આપ્યું. લોકલાજને કારણે તેણે નણંદને ઘેર જઇ કહ્યું ‘હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરા અને પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવજો ખાઉં ખાઉં કરતા દોડ્યાં ન આવતાં. સૌ જમી રહ્યા પછી હું બોલાવવા આવીશ.” આટલું કહી ભાભી ચાલી ગઈ.

બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળી ઓછું આવી ગયું. તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે ધીમે રહી આંખ લૂછી નાખી, કેમકે છોકરાઓ પાસે ઊભા હતા. હરખઘેલા થઈ છોકરાઓ નાચવા લાગ્યા, મામાના ઘેર સાંજે જાત જાતનું જમવાનું મળશે, તે આશાએ છોકરાઓએ સવારે ખાધું પણ નહિ

બ્રાહ્મણી વિચારવા લાગી : ‘ભાઈ પૈસેટકે સુખી છે. તેને મદદ કરી શકે તેમ છે. પણ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજદિન સુધી ભાઈ ભાભીએ તેમને જરાપણ મદદ કરી નથી. ભાભીના મેણા-ટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ પિયર જતી. ઘણાં વર્ષો થયાં છતાં ભાઈ-ભાભીએ તેને વારતહેવારે એક કપડું પણ આપ્યું નથી, પછી ભાણેજડાને તે શું આપે ? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ છે, પણ આશા નથી કે તે મને બોલાવવા આવે.

સાંજ પડી, સર્ગાવહાલાંઓ બધાં બની ઠની તૈયાર થઈ જમવા જવા લાગ્યાં. બ્રાહ્મણીનાં બાળકો પણ માને કહે : “મા, અમને બધાને તૈયાર કર અને તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાવ, આપણે બધાએ આજે મામાને ત્યાં જમવાનું છે, તેથી મોડું ના કરશો.”

સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ માંડ સમજાવીને શાંત રાખતી : ‘આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી જઇએ તો જ શોભે. હમણાં તમારી મામી તમને બોલાવવા આવશે. પછી આપણી જઈશું !”

આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમી જમીને પાછા ફરવા લાગ્યાં, પણ મામાના ઘરેથી કોઇ તેડવા ન આવ્યું. છોકરાઓ

શ્રી પુરુષોત્તમ (અધિક) માસની ભક્તિ જ્ઞાનધારા ધમપછાડા કરતાં સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકળવા વાગ્યો : ‘હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્મુ, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શો જવાબ આપીશ ?’

‘ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈક ખાવા આપવું પડશે માટે લાવ ભાઈના ઘેર જાઉં અને ઘરની બહાર પતરાળાં પડ્યાં હશે, તેમાંથી કંઈક લેતી આવું.’ આમ વિચારી તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈના ઘેર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાય છે, આનંદ-મસ્તી થાય છે, વાતોના તડાકા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાળાંના ઢગલા પાસે ગઈ. આત્મા કકળે છે, પતરાળાં લેવાનું દિલ થતું નથી, પણ ભૂખ્યાં સૂતેલ છોકરાઓને પટાવવા આ બધું તેને કરવું પડે છે. તેણે સાડલાના છેડે થોડાંક પતરાળાં બાંધી લીધાં અને ગુપચુપ ત્યાંથી પાછી ફરી.

બ્રાહ્મણીએ ઘેર આવી પતરાળાંમાંથી વધ્યું-ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પછી બધાં પતરાળાંને વાળી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધાં. તે રડતી-કકળતી ભગવાનનું નામ લેતાં લેતાં સૂઈ ગઈ.

બ્રાહ્મણી સવારે વહેલી ઊઠી અને ઘરની પાછળ નાખેલ પતરાળાંને ભેગાં કરી ઉકરડે નાખી દેવાનો વિચાર કર્યો જ્યાં પતરાળાં તરફ નજર કરી તો બધાંયે પતરાળાં સોનાના થઈ ગયેલ હતાં. તે આ જોઈ આભી બની ગઈ. તેણે બે હાથ જોડી પુરુષોત્તમ ભગવાનને નમન કર્યાં. તે તરત પતિ પાસે જઈને તેમને જગાડ્યા અને બધી વાત કરી.

બ્રાહ્મણ-બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માની આનં- દિત થયા. બ્રાહ્મણ બોલ્યો ઃ ‘‘ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે.”

ત્યારે બ્રાહ્મણી બોલી : “તમે આમ લાલચમાં ન પડો. આ પતરાળાં આપણાં નથી, મારા ભાઈનાં છે. જે વસ્તુ જેની હોય, તેને પાછી સોંપી દેવી જોઈએ, તેમાં જ પ્રભુ રાજી રહે છે.’

બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. તેને પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું : “તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવી આ પતરાળાં આપણે ત્યાં રાખવા ન જોઈએ. તું આ સોનાનાં પતરાળાં તારા ભાઈના ત્યાં આપી આવ, અગર તારા ભાઈને અહીં બોલાવી લાવી તેમને સુપરત કર.’

બ્રાહ્મણી તરત ભાઈના ઘેર પહોંચી. ભાઈ-ભાભી હમણાં જ ઊઠ્યાં હતાં. બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યો, એટલે બહેને ધીમા સાદે કહ્યું : “ભાઈ, મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે ઘેર ચાલો.’

નણંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેરવા આવી હશે. આથી ઉતાવળા અવાજે તે બોલી : “નણંદબા, તમે ગઈકાલે રાતે તો બધા ભરપેટ જમી ગયાં છો, છતાંય અત્યારે મીઠાઈ માગવા દોડ્યાં આવ્યાં, તમને શરમ નથી આવતી ?’’

ભાભીના આ વેણ સાંભળી બ્રાહ્મણીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ તો હતું જ, તેમાં ઉપરથી આવું બોલીને ભાભી ડામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સળવળી, પણ વાત સાંભળી ભાઈનું દિલ દુભાશે તેવા વિચારથી તે મૌન રહી. ભાઈ બોલ્યો : “કાલે તમે જમવા આવ્યાં હતાં, છતાં મને

મળ્યાં પણ નહિ ? મારે તને કાપડું આપવાનું હતું.’’ આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહિ અને ભાઈને લઈને પોતાને ઘેર આવી અને સોનાનાં પતરાળાં તેની સન્મુખ મૂકી બોલી : ‘“ભાઈ, આ સોનાનાં પતરાળાં તમારાં છે, તમે લઈ જાઓ. આ પતરાળાં ઉપર અમારો અધિકાર નથી.”

ભાઈ આ સોનાનાં પતરાળાં અને બહેનની વાત સાંભળી નવાઈ પામ્યો. તે બહેન સામું જોઈ રહ્યો અને બોલ્યો : “આ બધું : શું છે તે મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈ સમજ પડે.’

ત્યારે બ્રાહ્મણી આંસુભરી આંખે કહેવા લાગી : “ભાઈ, હું આપવા આવી હતી અને કહેલ કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યું નહિ, એટલે તારા ભાણેજડાઓને ભૂખે પેટે સૂવડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે ‘સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન્ન ખાવા માગશે, તો હું શું જવાબ દઈશ ? આથી કરીને હું તારે ત્યાં મોડી રાત્રે આવી ત્યારે તમે બધાં ધમાલમાં હતાં તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાંનો ઢગલો પડ્યો હતો, એમાંથી થોડાંક પતરાળાં હું ઘેર લઈ આવી. વધ્યા-ઘટ્યાના લાડવા વાળ્યાં અને તે પતરાળાં ઘરની પાછળના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઊઠી તે પતરાળાં ઉકરડે નાખવા લઈ જવા હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉ છું તો તે બધાં સોનાનાં પતરાળાં દેખાયાં. મેં તારા બનેવીને આ વાત કરી અને અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળાં તારાં હોવાથી આ ઉપર તારો અધિકાર છે, જેથી હું આ બધાં પતરાળાં તને આપવા માટે અહીં તેડી લાવી છું.’’

બહેનની વાત સાંભળી ભાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતાં દુ:ખનાં આંસું. ગામ તેને ત્યાં જમી ગયું અને વાહવાહ બોલાવી ગયું, જ્યારે તેની બહેન, બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યાં. તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજાં હતાં હર્ષનાં આંસું. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાનાં પતરાળાં તેને આપવા તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલાવરી અને ખાનદાનીનાં.

ભાઈને રડતો જોઈ બહેને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે, એના ઉપર મારો હક્ક ન ગણાય.

જો હું આ લઉં તો પાપમાં પડું. છેવટે બહેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું : “બહેન, આ પતરાળાં ઉપર મારો અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્ય-દાન કર. આ તારું છે અને તું ભોગવ.” આમ કહી ભાઈ પોતાના ઘેર ચાલ્યો ગયો.

બ્રાહ્મણ-બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું. ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણ-બ્રાહ્મણી અને બાળકોનાં નવાં કપડાં તૈયાર કર્યાં. પછી જમણવાર ગોઠવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરાં દઈ આવ્યાં. આ વાત ઊડતી ઊડતી ભાભીને કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું : “મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણ કરે છે. તેણે આખા ગામને નોતરાં આપ્યાં છે તે ખરી વાત ?’’

“હા, વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી રહી. આપણા કરતાંય તે વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને તે જમાડવાની છે. આપણા ઘરે પણ નોતરું આપવા આવશે.”

થોડીવાર થઈ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેમને ઘેર નોતરું દેવા આવ્યાં. તેમને આવવા નોતરું દીધું અને ચોક્કસ આવવા કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ કરે શું ? તેણે સમય પારખી નણંદ અને નણંદોઈને આવકાર આપી સારું મનાવ્યું.

સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યાં. બત્રીસ પકવાન અને તેત્રીસ શાક પિરસાયાં. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો તો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. છેલ્લે ભાઈ, ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લચપચતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો.

સોનાનો લાડુ જોઈ મામી બોલી : ‘ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું. સોનાનો લાડુ ખવાતો હશે ! તુંય ખરો છે.” ત્યારે ભાણેજ ઠાવકું મો રાખી બોલ્યો : “મામી, અમે રહ્યા ગરીબ, તમે શોભો તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી નહિ થઈ શકે. આ તો ફૂલ નહિ ને ફૂલની પાંખડી.’

ભાણેજનો ટોણો મામી તરત સમજી ગઈ. તેનો ભોઠપનો પાર ન રહ્યો. એની આંખો ઊઘડી ગઈ. તેથી આંખમાંથી અનાયાસે આંસું સરી પડ્યાં. તેને ઘણો પસ્તાવો થયો. તેણે ઊભી થઈને નણંદની માફી માગી. નણંદે તેને માફ કરી,

આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થઈ ગયો અને તે સુખ-શાંતિથી પોતાના પરિવાર સા રહેવા લાગી.

બોલો પુરુષોત્તમ ભગવાનની જય હવે શ્રીકૃષ્ણ (પુરુષોત્તમ) ભગવાનનું સંકીર્તન કરીએ

સોનાનો લાડુ જોઈ મામી બોલી : ‘ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું. સોનાનો લાડુ ખવાતો હશે ! તુંય ખરો છે.” ત્યારે ભાણેજ ઠાવકું મો રાખી બોલ્યો : “મામી, અમે રહ્યા ગરીબ, તમે શોભો તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી નહિ થઈ શકે. આ તો ફૂલ નહિ ને ફૂલની પાંખડી.’

ભાણેજનો ટોણો મામી તરત સમજી ગઈ. તેનો ભોઠપનો પાર ન રહ્યો. એની આંખો ઊઘડી ગઈ. તેથી આંખમાંથી અનાયાસે આંસું સરી પડ્યાં. તેને ઘણો પસ્તાવો થયો. તેણે ઊભી થઈને નણંદની માફી માગી. નણંદે તેને માફ કરી,

આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થઈ ગયો અને તે સુખ-શાંતિથી પોતાના પરિવાર સા રહેવા લાગી.

બોલો પુરુષોત્તમ ભગવાનની જય હવે શ્રીકૃષ્ણ (પુરુષોત્તમ) ભગવાનનું સંકીર્તન કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here